Loading Please Wait !!!
સૌરાષ્ટ્રની આસ્થાનું કેન્દ્ર અંટાલેશ્વર મહાદેવ મંદિર

અમરેલી નજીક ગાંગડીયા નદી કાંઠે આવેલું અંટાલેશ્વર મહાદેવ તીર્થધામ

250 વર્ષ જૂના ચમત્કાર સાથે જોડાયેલો ઇતિહાસ, શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે

સીટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્રમાં આવેલા અનેક પ્રાચીન શિવ મંદિરોમાં અમરેલી જિલ્લાના અંટાલેશ્વર મહાદેવ તીર્થધામનું વિશેષ સ્થાન છે. અમરેલીથી આશરે ૨૦ કિલોમીટર દૂર લાઠી-લીલીયા માર્ગ પર અંટાળીયા ગામ નજીક ગાંગડીયા નદીના કાંઠે આવેલું આ તીર્થધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે.

અંટાલેશ્વર મહાદેવ મંદિર સાથે એક રસપ્રદ લોકવાયકા અને પ્રાચીન ઇતિહાસ જોડાયેલો છે. વર્ષો પહેલાં આ વિસ્તાર વિશાળ બીડ તરીકે ઓળખાતો હતો, જ્યાં ગોપાલકો પોતાના પશુધનને ચરાવવા લાવતા હતા. કહેવાય છે કે એક ગાય દરરોજ દૂધ વગર ઘરે પરત ફરતી હતી. આ બાબતની તપાસ કરવા ગોપાલકે ગાયનો પીછો કર્યો હતો. લોકવાયકા અનુસાર ગાય ઓળખાતા સ્થળે જઈ ઊભી રહેતી અને તેના આંચલમાંથી દૂધની ધારા આપમેળે જમીન પર વહેતી હતી. ગોપાલકે નજીક જઈ તપાસ કરતાં એક પથ્થર પાસે નાગદેવતા દેખાયા હતા. બાદમાં કેટલાક લોકોએ પથ્થર પર પ્રહાર કરતાં તેમાંથી લોહી નીકળ્યું હોવાનું કહેવાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચમત્કારની ચર્ચા ફેલાઈ હતી.

આ ઘટના અંગે જાણ થતાં એક અવધૂત સંત સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આ સ્થળને ભગવાન શિવનું પવિત્ર સ્થાન ગણાવી અહીં શિવલિંગની સ્થાપના કરાવી હતી. ત્યારબાદ અંટાલેશ્વર મહાદેવ તીર્થધામ તરીકે આ સ્થાન વિકસતું ગયું.

હાલમાં અંટાલેશ્વર મહાદેવ મંદિર સૌરાષ્ટ્રના મહત્વના ધાર્મિક કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. અહીં દરરોજ સવાર અને સાંજે ભગવાન શિવને ભોગ ધરાવવામાં આવે છે અને પ્રસાદરૂપે ગૌસેવા પણ કરવામાં આવે છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે ૨૪ કલાક અન્નક્ષેત્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને દિવાળીના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે. વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવાસો અને ધાર્મિક યાત્રાઓનું પણ આયોજન થતું રહે છે.

અંટાલેશ્વર મહાદેવ તીર્થધામ રાજકોટથી આશરે ૧૧૬ કિલોમીટર, અમદાવાદથી ૨૩૦ કિલોમીટર, અમરેલીથી ૨૦ કિલોમીટર દૂર આવેલું છે. ખાનગી વાહન તેમજ સ્થાનિક પરિવહન વ્યવસ્થા દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે.