Loading Please Wait !!!
સુરતમાં ભયાનક અકસ્માત: બેફામ કારચાલકે ત્રણ કારનો કર્યો કચ્ચરઘાણ

  • કતારગામમાં વહેલી સવારે સર્જાયો અકસ્માત, કાર પલટી મારી ચાલક ફરાર
  • સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ઘટના, ₹1.50 લાખનું આર્થિક નુકસાન
  • અકસ્માત બાદ કાર પલટી ગઈ, પોલીસે ચાલકની શોધખોળ કરી શરૂ

સિટી ન્યુઝ @ સુરત

સુરતના કતારગામ વિસ્તારમાં આજે 13 જુલાઈની વહેલી સવારે બેફામ રફ્તારે જઈ રહેલી એક કિયા સેલ્ટોસ કારે ભારે તાંડવ મચાવ્યું હતું. વાળીનાથ સર્કલથી ઘનમોરા ચાર રસ્તા તરફ જતા માર્ગ પર વિહાર સોસાયટી પાસે, કારચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતા રસ્તા કિનારે પાર્ક કરેલી બે ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત સર્જનાર કાર પલટી ગઈ હતી અને બાદમાં ચાલક ઘટનાસ્થળે જ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ અકસ્માતમાં નિર્દોષ વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મારુતિ સુઝુકી વેગનઆર (GJ-05-JC-7506) અને તેની આગળ પાર્ક કરેલી બ્રેઝા કાર (GJ-05-RQ-4705) ને ભારે નુકસાન થયું છે, જેના કારણે ગાડીઓના માલિકોને અંદાજે ₹1,50,000 નું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વેગનઆર કારના માલિક નરેશકુમાર ગોટાવાલાએ આ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કતારગામ પોલીસે અકસ્માત સર્જનાર કિયા કાર (GJ-05-JY-7447) ના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી ફરાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ ચાલક જે રીતે ગાડી મૂકીને ભાગી ગયો છે, તે તેની ગંભીર બેદરકારી અને કાયદાના ઉલ્લંઘનને દર્શાવે છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજીતસિંહ બારીયાના નેતૃત્વમાં આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

 

આર્થિક નુકસાન અને પોલીસ કાર્યવાહી આ ભયાનક અકસ્માતને લીધે નરેશકુમાર ગોટાવાલાની વેગનઆર કારને ₹1,00,000 નું અને મીતેશભાઈ બારડોલીવાલાની બ્રેઝા કારને ₹50,000 નું નુકસાન થયું છે. કતારગામ પોલીસે BNS ની કલમ 281, 324(5) અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અકસ્માત કરી ફરાર થઈ ગયેલા કારચાલકને પકડવા પોલીસે ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારના રહેવાસીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.