Loading Please Wait !!!
બાબા બાગેશ્વરની કથામાં બજરંગ દળ મેદાને

=> સેવા-સુરક્ષા-સંસ્કારના ધ્યેય સાથે ૨૦૦થી વધુ બજરંગીઓ સંભાળશે મોરચો

=> 10-10 યુવાનોની ટોળીઓ ખડેપગે રહેશે; ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડનાર તત્વોને બજરંગ દળની ખુલ્લી ચીમકી

સિટી ન્યૂઝ@રાજકોટ

હિન્દુ ધર્મ અને રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા અગ્રેસર રહેતા બજરંગ દળના કાર્યકર્તાઓ હવે રાજકોટમાં આયોજિત બાબા બાગેશ્વરની હનુમંત કથામાં સેવા અને સુરક્ષાની સંપૂર્ણ કમાન સંભાળશે. રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. ૫ થી ૭ જૂન દરમિયાન યોજાનાર ‘સનાતન સેતુ હનુમંત કથા’માં બજરંગ દળના ૨૦૦થી વધુ યુવાનો પોતાના ‘સેવા-સુરક્ષા-સંસ્કાર’ના ધ્યેયમંત્રને સાર્થક કરતા ખડેપગે રહેશે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) રાજકોટ મહાનગરના અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયા અને વિભાગ મંત્રી કૃણાલભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર, બજરંગ દળના યુવાનોએ ૧૦-૧૦ કાર્યકર્તાઓની વિશેષ ટોળીઓ બનાવી છે. આ ટોળીઓ કથામાં આવનાર હજારો ભક્તો માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સ્ટેજ, ખોરાક-પાણી વિભાગ અને આવક-જાવક સહિતની તમામ વ્યવસ્થાઓનો સુચારુ કાર્યભાર સંભાળશે. સહમંત્રી પરેશભાઈ રુપારેલીયાએ ખાતરી આપી છે કે બજરંગી યુવાનો પોલીસ પ્રશાસન સાથે ખભેખભો મિલાવીને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં સંપૂર્ણ મદદરૂપ થશે.

બજરંગ દળ રાજકોટના આગેવાનો રવિન્દ્રભાઈ બળગુજર, જીતુભાઈ કેસુર, હર્ષ મુંધેવા, વિનીત જયસ્વાલ, હેનીલસિંહ પરમાર અને સંજયરાજ સોલંકીએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે, “અમે વીર હનુમાનજીના ઉપાસક છીએ અને હિન્દુ રાષ્ટ્ર અમારો સંકલ્પ છે. આ કથામાં અમારો મૂળ ભાવ માત્ર સેવાનો જ છે, પરંતુ જો કોઈ અસામાજિક તત્વ આ પવિત્ર આયોજનમાં ખલેલ પહોંચાડવાનો કે વિઘ્ન નાખવાનો પ્રયાસ કરશે, તો બજરંગી યુવાનો કાયદાની મર્યાદામાં રહીને આવા તત્વોને જડબાતોડ જવાબ આપવા માટે પણ સંપૂર્ણ તૈયાર છે.”

VHP ના જિલ્લા મંત્રી વિનય કારીયાની યાદી મુજબ, આ ભગીરથ સેવા કાર્યમાં રાજુભાઈ ઉમરાણીયા, કૌશિકભાઈ સરધારા, નવીન વાઘેલા, ભાવેશભાઈ લાઠીયા, ધનરાજ રાધાણી, અલ્પેશ નાંઢા, સુરેશભાઈ પાટીલ, લલિત અને ધર્મેશ ગોહેલ, અનંતભાઈ નેભુજી, દિનેશભાઈ ચારણીયા, મૌલિક દાવડા, કુલદીપ અને જયદીપ વિસાણી, ડો. હિરેન વિસાણી, પંકજભાઈ તાવીયા, દિલીપભાઈ દવે, ધ્વનિત સરવૈયા, ડો. રવિ પાટડીયા, સચિનભાઈ સોલંકી, ધર્મેશભાઈ ખેરડીયા, હર્ષ રાવલ, રાજુ રાજપુત અને જીતેન્દ્ર વેગડા સહિતના અનેક બજરંગ દળના યુવાનો નિસ્વાર્થ ભાવે સેવા યજ્ઞમાં જોડાશે.