સ્વાસ્થ્ય માટે ખત્તરનાક : સિન્થેટિક (નકલી) પનીર પર પ્રતિબંધ?
- FSSAIનું એક્શન મોડ : આરોગ્ય માટે મોટો નિર્ણય
- ઓછા પોષણવાળું આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી બજારમાંથી દૂર કરવામાં આવશે
- સત્તાવાર મંજૂરી મળી ગમે ત્યારે દેશભરમાં મોટી જાહેરાત થશે
સિટી ન્યૂઝ@રાજકોટ : ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ બજારમાં વેચાઈ રહેલા સિન્થેટિક પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઓછા પોષણવાળું આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને ગ્રાહક સુરક્ષા માટે બજારમાંથી દૂર કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ઉચ્ચ સ્તરની સમિતિએ ઑક્ટોબર ૨૦૨૫માં આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને માર્ચ ૨૦૨૬માં એક બેઠકમાં એને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી.
સમિતિનો તર્ક છે કે ભારત વિશ્વનો સૌથી મોટો ડેરી-ઉત્પાદક દેશ હોવા છતાં અહીં સસ્તા અને ભેળસેળયુક્ત કૃત્રિમ પનીરનો મોટો જથ્થો વેચાઈ રહ્યો છે. એ દેખાવમાં અને સ્વાદમાં વાસ્તવિક પનીર જેવું જ છે જે ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સિન્થેટિક પનીરમાં નજીવું પ્રોટીન અને વધુપડતી ચરબી હોય છે. એના નિયમિત સેવનથી ટાઇપ-ટૂ ડાયાબિટીઝ અને અન્ય ગંભીર રોગો થઈ શકે છે. સરકાર દ્વારા આ કડક પગલાથી ડેરીઉદ્યોગમાં પારદર્શિતા આવશે અને સામાન્ય લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે એવી અપેક્ષા છે.
દેશમાં આશરે ૧૦૦૦ કંપનીઓ પાસે સિન્થેટિક પનીર બનાવવા માટે લાઇસન્સ છે. નવી નીતિ હેઠળ કોઈ નવું લાઇસન્સ જાહેર કરવામાં આવશે નહીં અને હાલની કંપનીઓને તેમનો સ્ટૉક ખાલી કરવા અને
ઉત્પાદન બંધ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે.
બજારમાં સિન્થેટિક પનીરની લોકપ્રિયતા ઝડપથી વધી છે કારણ કે એ એક સસ્તો વિકલ્પ છે. એ મુખ્યત્વે તાજા દૂધને બદલે પામતેલ, દૂધનો પાઉડર, સ્ટાર્ચ અને ઇમલ્સિફાયરના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. વાસ્તવિક બ્રૅન્ડેડ પનીર ૪૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે ત્યારે સિન્થેટિક પનીર ૨૫૦થી ૩૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. એનો ઉપયોગ રેસ્ટોરાં અને ઢાબાઓમાં વ્યાપકપણે થાય છે જે ગ્રાહકો સાથે છેતરપિંડી છે.