રાજકોટમાં બાકી વેરાધારકોને રાહત; 5000 સુધી વ્યાજ માફ
મેયર નેહલ શુકલની જાહેરાત
1.40 લાખ નાના મિલકત ધારકોને લાભ મળશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો અને કરદાતાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના મેયર ડૉ. નેહલ શુકલ દ્વારા મિલકત વેરો અને પાણી વેરો ભરવાના બાકી હોય તેવા કરદાતાઓ માટે વ્યાજ માફીની એક વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ બાકી મિલકત વેરો ચૂકવનાર નાગરિકોને વ્યાજમાં રૂ. ૫૦૦૦ સુધીની માફી આપવામાં આવશે. આ જ રીતે, તમામ બાકી પાણી વેરો ચૂકવનારાઓને પણ વ્યાજમાં રૂ. ૫૦૦૦ સુધીની સમાન વ્યાજ માફીનો લાભ મળશે. મહાનગરપાલિકાના આ નિર્ણયથી શહેરના અંદાજે ૧.૪૦ લાખ જેટલા નાના અને મધ્યમ મિલકતધારકોને સીધો આર્થિક ફાયદો થશે. લોકોની આ રજૂઆતોને સકારાત્મક રીતે ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને પાણી વેરા બંનેમાં વ્યાજ માફી આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય ભૂતકાળમાં પણ મંજૂર થયેલો હતો, પરંતુ કોઈ કારણોસર તેની અમલવારી અટકી ગઈ હતી. હવે આ અટકતી યોજનાને પુન ચાલુ કરીને ૧ ઓગસ્ટથી લઈને ૩૦ સપ્ટેમ્બર સુધીના ૨ મહિનાના સમયગાળા માટે લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સમયગાળા દરમિયાન નાના
બિલ ધરાવતા તમામ કરદાતા પોતાના બાકી વેરાની ભરપાઈ કરીને વ્યાજમાં મહત્તમ રાહત મેળવી શકશે. ૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો કરદાતાઓ માટે પોતાની જૂની બાકી રકમ ચૂકવીને વ્યાજના ભારણમાંથી મુક્ત થવાનો ઉત્તમ અવસર છે. મેયર ડૉ. નેહલ શુકલએ શહેરના તમામ નાગરિકો અને મિલકતધારકોને અપીલ કરતાં જણાવ્યું કે વધુમાં વધુ લોકોએ પ્રજાહિતમાં અમલમાં મૂકવામાં આવી રહેલી આ વ્યાજ માફી યોજનાનો મહત્તમ લાભ લેવો જોઈએ. આગામી ૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધીના નિયત સમયગાળામાં કરદાતાઓએ પોતાના બાકી નીકળતા વેરાની તાત્કાલિક ભરપાઈ કરી દેવી જોઈએ, જેથી વ્યાજ પેટે થતી વધારાની રકમ બચાવી શકાય. આ યોજનાથી નાગરિકોને વ્યાજમાંથી મુક્તિ મળશે અને સામે પક્ષે મહાનગરપાલિકાને પણ બાકી નીકળતી વેરાની વસૂલાતમાં મોટો વેગ મળશે. આ વ્યાજ માફી યોજનાથી રાજકોટના ૧.૪૦ લાખ જેટલા નાના મિલકત ધારકોને સીધો અને મોટો આર્થિક લાભ થવા જઈ રહ્યો છે.
કોર્પોરેમને પ્રજાહિતમાં નિર્ણય લીધો: મેયર
મેયર ડૉ. નેહલ શુકલએ જણાવ્યું હતું કે રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી બોડી હંમેશાં લોકોના હિતોની અને તેમની સુખાકારીની દરકાર કરતી રહી છે. નવી જવાબદારી સંભાળ્યા પછીના છેલ્લા ૨ મહિનાની અંદર પાલિકા સમક્ષ લોકો તરફથી અનેક રજૂઆતો આવી હતી. આ રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું કે જૂના કે ચાલુ વર્ષના વેરા બાકી હોવાના કારણે વ્યાજનો બોજ વધી ગયો છે, જેથી તંત્ર દ્વારા આમાં કઈક રાહત આપવામાં આવે તો નાના માણસોને ખૂબ મોટી મદદ મળી શકે તેમ છે. લોકોની આ ભાવના અને જરૂરિયાતને માન આપીને કોર્પોરેશન દ્વારા પ્રજાહિતનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.