ભક્તિનગર રેલ્વે સ્ટેશન પર મહિલાનો ૨ લાખની મતા ભરેલો થેલો ચોરનાર ઝડપાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી કડી પંથકનાં મંજુલાબેન નામના મુસાફરનો રૂા. ૧૩ હજારની રોકડ અને રૂા. ૧.૯૦ લાખના સોનાના ચેન સાથેના થેલાની ચોરી કરનાર વિજય પ્લોટના રાહુલ પરેશભાઈ જરીયાને રેલવે પોલીસે ઝડપી લીધો હતો.
તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ચોરીની આ ઘટના બાદ પીએસઆઈ બી.જે.જાડેજાએ રેલવે સ્ટેશન અને સીટીના સીસીટીવી કેમેરા જોઈ આરોપીની ઓળખ મેળવી હતી. આરોપી વાંકાનેર પંથકમાં મંદિરે દર્શન કરવા ગયો હતો. જ્યાંથી પરત આવતા તેને ઝડપી લીધો હતો ચોરી કરી તે દિવસે આરોપી તેની માતા સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી ગયો હતો. તેનો ઈરાદો ટ્રેનમાં બેસી ક્યાંક જતા રહેવાનો હતો. ભક્તિનગર રેલવે સ્ટેશને પહોંચ્યો ત્યારે મંજુલાબેનનો થેલો રેઢો જોતા ચોરી કરી બહારગામ જવાનું મુલતવી રાખી પાટા પર થઈ શહેરમાં આવતો રહ્યો હતો તેણે ચોરીના મુદ્દામાલનો ઉપયોગ કર્યો ન હતો. જે રીતે મુદ્દામાલ હતો તે રીતે જ રાખી મુક્યો હતો. બીજી કોઈ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે રેલવે પોલીસે તપાસ જારી રાખી છે.