4 મહિના પૂર્વે પરણેલા શાપરના કારખાનેદારનું હાર્ટએટેકથી મોત
સિટી ન્યૂઝ@રાજકોટ : શાપરમાં કારખાનું ચલાવતા અને બે ભાઈઓમાં મોટા જેનીશભાઈ રાજેશભાઈ પીપળવા (ઉ.વ. 30) ને ગઈકાલે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તબીબોની સઘન સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેનીશભાઈના લગ્ન માંડ 4 મહિના પહેલા જ થયા હતા. નવપરિણીત પત્નીના હાથની મહેંદી સુકાય તે પહેલાં જ તેણે પતિની છત્રછાયા ગુમાવતા તે ઊંડા આઘાતમાં સરી પડી છે અને ઘરમાં ભારે આક્રંદ છવાયો છે. હોસ્પિટલની જાણ થતાં શાપર પોલીસે તાત્કાલિક રાજકોટ પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાનનું હાર્ટ એટેકથી જ મોત થયાની પુષ્ટિ થઈ છે.