Loading Please Wait !!!
ગંગા નદી બની રહી છે ગરમ, 'રિવરાઈન હીટવેવ'થી જળચર સૃષ્ટિ પર ખતરો

  • પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટવાથી માછલીઓ અને કરોડો લોકોની આજીવિકા સંકટમાં
  •  આઈઆઈઆઈટી હૈદરાબાદના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો, ઓક્સિજન ઘટવાથી જીવસૃષ્ટિ પર જોખમ
  •  ગ્લેશિયર પીગળવા અને નદી કિનારે હરિયાળી ઘટવાથી ઈકોલોજી સિસ્ટમને મોટું નુકસાન

સિટી ન્યુઝ @ દહેરાદુન

ગંગા નદીને લઈને એક અત્યંત ચિંતાજનક વૈજ્ઞાનિક અહેવાલ સામે આવ્યો છે. જળવાયુ પરિવર્તન, ઓછો વરસાદ અને ગ્લેશિયરો સંકોચાવાને કારણે ગંગાના પાણીમાં ગરમી વધી રહી છે અને ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું છે. આ બદલાવને કારણે ગંગાના ઈકોલોજી તંત્ર, જળચર સૃષ્ટિ અને નદી પર નિર્ભર કરોડો લોકોની આજીવિકા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. નદી કિનારે હરિયાળી ઘટવાને કારણે પણ પાણીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

આઈઆઈઆઈટી હૈદરાબાદ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત હાઈડ્રોક્લાઈમેટિક રિસર્ચ મુજબ, વર્ષ 2009 થી 2025 દરમિયાન ગંગાના મધ્ય પ્રવાહ ક્ષેત્રમાં પાણીનું સરેરાશ તાપમાન 1.88 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે. આઈઆઈઆઈટી હૈદરાબાદના વૈજ્ઞાનિક ડૉ. રેહાના શેખના જણાવ્યા અનુસાર, જો પાણીના તાપમાનમાં માત્ર એક ડિગ્રીનો વધારો થાય તો પણ તેમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર 2.3 ટકા જેટલું ઘટી શકે છે. આ ઓક્સિજનનો ઘટાડો માછલીઓ અને અન્ય જળચર જીવોના અસ્તિત્વ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

જ્યારે નદીનું પાણી સતત કેટલાય દિવસો સુધી સામાન્યથી વધુ ગરમ રહે છે, ત્યારે તેને 'રિવરાઈન હીટવેવ' અથવા નદીની 'લૂ' કહેવામાં આવે છે. જો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન હાલની ગતિએ જ ચાલુ રહ્યું તો 2090 સુધીમાં ગંગાના મોટાભાગના વિસ્તારોમાં આ લૂની ઘટનાઓ ગંભીર રીતે વધી જશે. આનાથી કૃષિ, પીવાના પાણી અને મત્સ્યપાલનને ભારે નુકસાન થશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ગંગાને બચાવવા માટે નદી કિનારે હરિયાળી પટ્ટી વિકસાવવી અને પ્રાકૃતિક પ્રવાહ જાળવી રાખવો અત્યંત આવશ્યક બની ગયું છે.

દુનિયાભરની નદીઓમાં ઓક્સિજનનું સંકટ

'સાયન્સ એડવાન્સીઝ' જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, માત્ર ગંગા જ નહીં પરંતુ છેલ્લા ચાર દાયકામાં દુનિયાની 78.8 ટકા નદીઓમાં ઓક્સિજનનું સ્તર ચિંતાજનક રીતે ઘટ્યું છે. પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર નદીઓના તાપમાન પર પડી રહી છે. ગંગાને માત્ર ઔદ્યોગિક પ્રદૂષણથી જ નહીં, પરંતુ વધતી ગરમીથી બચાવવા માટે પણ હવે નક્કર અને તાત્કાલિક પગલાં લેવાનો સમય આવી ગયો છે.