Loading Please Wait !!!
પેપર લીક બાદ હવે ઇથેનોલ મુદ્દે આક્રોશ: પાંચ જ દિવસમાં ત્રણ મોટા આંદોલનનું એલાન!

 

  • કેન્દ્ર સરકારની E20 ફ્યુઅલ નીતિ સામે નેતાઓ, ટ્રાન્સપોર્ટ યુનિયનો અને સામાન્ય નાગરિકો મેદાને આવ્યા છે.

  • ટ્રાન્સપોર્ટ યુનિયનો દ્વારા આગામી ૪ ઓગસ્ટે સંસદ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે.

  • સર્વે મુજબ ૬૬ ટકા લોકોએ માઇલેજ ઘટવાની અને ૪૫ ટકા લોકોએ મેન્ટેનન્સ ખર્ચ વધવાની ફરિયાદ કરી છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, દેશમાં પેપર લીક વિવાદ બાદ હવે પેટ્રોલમાં E20 ઇથેનોલ મિશ્રણને લઈને આક્રોશ વ્યાપી ગયો છે અને આગામી પાંચ જ દિવસમાં ત્રણ મોટા આંદોલનોનું એલાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર E20 ફ્યુઅલને ભવિષ્ય ગણાવી રહી છે અને તેનાથી આયાત ઘટશે તથા ખેડૂતોને ફાયદો થશે તેવું કહી રહી છે, પરંતુ વિરોધ કરનારા લોકો બજારમાં શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ માંગ કરી રહ્યા છે. આ વિરોધ હવે માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત ન રહેતા દિલ્હી અને સંસદ સુધી પહોંચવા જઈ રહ્યો છે.

આ આંદોલનના ભાગરૂપે સામાજિક કાર્યકર્તા તહસીન પૂનાવાલા ૩૧ જુલાઈએ ઇન્ડિયા ગેટથી સંસદ સુધી 'ગાડી માર્ચ' કરશે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૧ ઓગસ્ટે દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં 'નેશનલ ટાઉનહોલ' યોજશે. આ ઉપરાંત, વિવિધ ટેક્સી અને ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ ૪ ઓગસ્ટે સંસદ સુધી માર્ચ કાઢવાનું એલાન કર્યું છે. સોશિયલ મીડિયા પર 'E20 જનતા પાર્ટી' નામે ચાલી રહેલા અભિયાનમાં પણ લાખો યુવાનો જોડાયા છે. સ્થાનિક સર્વે મુજબ અંદાજે ૬૬ ટકા વાહન માલિકોએ માઇલેજ ઘટવાની અને ૪૫ ટકા લોકોએ મેન્ટેનન્સ ખર્ચ વધવાની ફરિયાદો કરી છે, જેના કારણે સરકાર અને વાહનચાલકો વચ્ચેનો આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

ઇથેનોલ મિશ્રણ અને વાહન વ્યવહાર

સરકારની હરિયાળી ઉર્જા નીતિ અને વાહન માલિકોની વ્યવહારિક મુશ્કેલીઓ વચ્ચે ચાલી રહેલો આ સંઘર્ષ આગામી સમયમાં રાજકીય અને સામાજિક સ્તરે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.