Loading Please Wait !!!
સંસદનું મોનસૂન સત્ર: 'તર્ક અને તથ્ય પર ચર્ચા જરૂરી', PM મોદીની વિપક્ષને અપીલ

  • સત્રને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાને દેશની ટેકનોલોજીકલ સિદ્ધિઓ પર આપ્યો ભાર
  • 13 ઓગસ્ટ સુધી ચાલશે સત્ર, 8 મહત્વના વિધેયકો પર મહોર લાગવાની શક્યતા
  • પીએમ મોદીએ ગણાવ્યા વિકાસના કામો, દેશની પ્રગતિમાં સંસદની ભૂમિકા પર ભાર

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સંસદના મોનસૂન સત્રનો શનિવારે ઐતિહાસિક પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સત્રને અત્યંત પ્રોડક્ટિવ અને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે વિપક્ષી દળોને અપીલ કરી હતી કે ગૃહમાં વિરોધ કરવાના બદલે સકારાત્મક વલણ અપનાવીને દેશના કલ્યાણ માટે કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવામાં સહયોગ આપે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, "જ્યાં તર્ક અને તથ્યો મજબૂત હોય ત્યાં અવાજ ઊંચો કરવાની કોઈ જરૂર નથી."

પોતાના સંબોધનમાં પીએમે દેશની તાજેતરની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પેસ ક્ષેત્રે યુવાનોના સ્ટાર્ટ-અપ્સ દ્વારા મળેલી સફળતા, સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ, હાઇડ્રોજન ટ્રેન અને નવી ઓઇલ રિફાઇનરી જેવી બાબતોને ભારતની વધતી જતી ટેકનોલોજીકલ ક્ષમતાનું પ્રતીક ગણાવ્યું હતું. વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આગામી 19 બેઠકો દરમિયાન સંસદમાં તર્કબદ્ધ ચર્ચાઓ થશે અને દરેક અવાજને સાંભળવાની તક મળશે.

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુના જણાવ્યા મુજબ, આ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન ઈન્કમ ટેક્સ સુધારા વિધેયક, સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારવા અંગેનું બિલ, જન્મ-મૃત્યુ નોંધણી સુધારા વિધેયક અને શિક્ષણ ક્ષેત્રે 'સિંગલ રેગ્યુલેટર ઓથોરિટી'ના ગઠન સહિતના 8 મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવી શકે છે. સરકાર આ સત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે કટિબદ્ધ છે.