Loading Please Wait !!!
ઈન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર રાજકારણ ગરમાયું

 

  • જમીનના અસ્થાયી પટ્ટા માટે એડવાન્સમાં 10.08 લાખ જમા કરાયા

  • અંદાજે 1.5 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યાનો દાવો

  • જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ

સિટી ન્યુઝ @ ઈન્દોર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમને લઈને મધ્યપ્રદેશના ઈન્દોરમાં રાજકીય પારો ભારે ગરમાયો છે અને ભાજપ-કોંગ્રેસ સામસામા આવી ગયા છે. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કાર્યક્રમ માટે મંજૂરી ન મળવાને કારણે કોંગ્રેસે રીજનલ પાર્ક સામે નવી જમીન ભાડે લેવી પડી છે. આ નવા સ્થળનું નામ 'ભારત જોડો મેદાન' રાખવામાં આવ્યું છે, જેના માટે અસ્થાયી પટ્ટા પેટે એડવાન્સમાં રૂા. 10.08 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર રાહુલ ગાંધીના આ પ્રવાસથી ગભરાઈ ગઈ છે અને જાણી જોઈને મંજૂરી આપવામાં વિલંબ કરી રહી છે. ઈન્દોર સિટી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ચીંટુ ચૌકસેએ જણાવ્યું હતું કે 12,000 વર્ગ મીટર જમીન ભાડે રાખીને આગામી 19 સપ્ટેમ્બરે આયોજિત થનારા આ કાર્યક્રમમાં લગભગ 1.5 લાખ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

બીજી તરફ, મેયર પુષ્યમિત્ર ભાર્ગવે આક્ષેપોનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટના જૂના આદેશ મુજબ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમનો ઉપયોગ માત્ર રમતો અથવા રાજ્ય સ્તરીય સરકારી આયોજનો માટે જ થઈ શકે છે. રાજકીય કાર્યક્રમો માટે ત્યાં મંજૂરી આપવી નિયમોની વિરુદ્ધ છે, તેથી પ્રશાસન દ્વારા નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકીય ગતિવિધિઓ અને આયોજન

યુવા વિદ્યાર્થીઓને જોડતા આ કાર્યક્રમને લઈને રાજકારણ તેજ બન્યું છે. એક તરફ કોંગ્રેસ તેને પોતાના શક્તિ પ્રદર્શન તરીકે જોઈ રહી છે, તો બીજી તરફ શાસક પક્ષ નિયમો અને અદાલતના આદેશોને ટાંકીને પોતાના વલણને યોગ્ય ઠેરવી રહ્યો છે.