રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાના સ્વયંસેવકોનું સાલ ઓઢાડી સન્માન કર્યું
‘નાત-જાતને તોડો, હિન્દુને જોડો’ના સંદેશ સાથે સેવાભાવી કાર્યકર્તાઓને અપાયું સન્માન
સીટી ન્યૂઝ@રાજકોટ
તાજેતરમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથાને સફળ બનાવવા માટે સેવા આપનારા વિવિધ સમિતિના સ્વયંસેવકો અને કાર્યકર્તાઓનું કિશોરભાઈ પંચાયતા (ફુનેશ) પરિવાર દ્વારા સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય આયોજક કિશોરભાઈ પંચાયતાએ જણાવ્યું હતું કે, ‘નાત-જાતને તોડો, હિન્દુને જોડો’ના સંદેશ સાથે યોજાયેલી કથામાં વિવિધ સમિતિઓના સ્વયંસેવકોએ સેવા પરમો ધર્મની ભાવનાથી તન, મન અને ધનથી સેવા આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સન્માન સમારોહમાં સમિતિના અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ પંચાયતા (ફુનેશ), ડો. આશિષભાઈ શુક્લ, રાજેશભાઈ ગિલ્લારી, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, ગંગેશભાઈ દેસાઈ, પરેશભાઈ રૂપારેલિયા, કેનિશભાઈ આડેસરા, વિજયભાઈ પારઘિયા અને નરેન્દ્રભાઈ દવે સહિતના આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મનો ધ્વજ સતત લહેરાતો રહે અને હિન્દુ સમાજમાં એકતા મજબૂત બને તે માટે સૌએ સતત પ્રયાસશીલ રહેવું જોઈએ.
કાર્યક્રમમાં કાર્યાલય વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ વ્યવસ્થા, ગ્રાઉન્ડ વ્યવસ્થા, એલઈડી, સાઉન્ડ અને લાઈટ વ્યવસ્થા, જાહેર પાણી વ્યવસ્થા, મુખ્ય એન્ટ્રી ગેટ વ્યવસ્થા, ઈમરજન્સી આરોગ્ય સેવા, ફાયર સેફ્ટી, ગ્રાઉન્ડ સ્વચ્છતા, પાર્કિંગ વ્યવસ્થા, પ્રેસ મીડિયા કમિટી, બેઠક વ્યવસ્થા તેમજ સુલભ શૌચાલય વ્યવસ્થા સહિતની વિવિધ સમિતિઓમાં સેવા આપનારા તમામ સ્વયંસેવકોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતે ઉપસ્થિત સૌએ સમૂહ પ્રસાદ (ભવ્ય ભોજન)નો લાભ લીધો હતો.