સાધુના સ્વાંગમાં છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ
લોધીકા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી કાર પણ કબજે લીધી
સિટી ન્યૂઝ@રાજકોટ
લોધિકાના ચાંદલી ગામે રહેતા ખેડૂત વિનોદભાઈ પોતાના ખેતરે હતા ત્યારે કારમાં ચાર આરોપીઓ ત્યાં આવ્યા હતા. જેમાંથી ત્રણ આરોપીઓએ સાધુઓનો સ્વાંગ રચ્યો હતો અને બેટા હમે તુમ્હારે ઘર જાના હૈ તેમ કહેતા વિનોદભાઈએ તત્કાળ ઘરે તેમના ભોજનની વ્યવસ્થા કરાવી હતી. ત્યાર પછી ચારેય આરોપીઓએ પોતાના ઘરે લઈ જઈ જમાડ્યા હતા. જે દરમિયાન આરોપીઓએ તેમની પાસે બંડલમાંથી એક નોટ આપવાનું કહ્યું હતું. આ પછી બીજુ બંડલ પણ મગાવ્યું હતું. તેને બરકત વધારવાની લાલચ આપી વાતોમાં મશગુલ રાખી ૬૦ હજાર લઈ ભાગી જતા લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઇન્ચાર્જ પીઆઈ આઈ.એમ.સરવૈયાએ કાર નંબરના આધારે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા ૪ આરોપીઓને ઝડપી લીધા હતા પકડાયેલા શખ્સોમાં વાંકાનેરના બહાદુરનાથ પરમાર, ધરમનાથ પરમાર, સાયરનાથ પરમાર અને તોફાનનાથ પરમારનો સમાવેશ થાય છે આરોપી બહાદુરનાથ વિરુદ્ધ આ પ્રકારે છેતરપિંડીના ત્રણ મણી કુલ ૬ ગુના નોંધાયા છે. આરોપી ધરમનાથ વિરુદ્ધ એક જ્યારે આરોપી તોફાનનાથ વિરુદ્ધ પણ એક ગુનો નોંધાયો છે ચારેય આરોપીઓએ અન્ય કોઈ સ્થળે આ રીતે છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.