ચોમાસામાં ઈમ્યુનિટી વધારવા માટે અનાપનાવો આ અદભુત આહાર!
-
ચોમાસામાં બદલાતા વાતાવરણ અને ભેજવાળા માહોલ વચ્ચે સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે.
-
વિટામિન Cથી ભરપૂર મોસમી ફળો અને લીલા શાકભાજી શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
-
આદુ, હળદર અને ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી શરીરને અંદરથી મજબૂત બનાવી શકાય છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ચોમાસાની ઋતુ જેટલી તાજગીભરેલી લાગે છે, તેટલી જ પોતાની સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. આ સમયગાળા દરમિયાન ક્યારેક ધોધમાર વરસાદ, ક્યારેક ભેજવાળું વાતાવરણ અને ક્યારેક તાપમાનમાં અચાનક ફેરફાર શરીરની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરી શકે છે. આ જ કારણ છે કે ચોમાસામાં વાયરલ ઈન્ફેક્શન, શરદી-ઉધરસ, તાવ અને પેટને લગતી તકલીફોના કેસો ઝડપથી વધી જાય છે. આવા સમયે માત્ર દવાઓ પર નિર્ભર રહેવાને બદલે રોજિંદા ખોરાકમાં એવા ફુડ્સ સામેલ કરવા વધુ ફાયદાકારક બની શકે છે જે ઈમ્યુનિટી મજબૂત કરે.
વરસાદની ઋતુમાં ભેજ વધવાને કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ઝડપથી પનપે છે. આ સાથે જ બહારનો દૂષિત ખોરાક, ગંદુ પાણી અને અનિયમિત ખાનપાન શરીરની કુદરતી રોગપ્રતિકારક પ્રણાલીને પ્રભાવિત કરી શકે છે. તેથી જ આ ઋતુમાં પોષણથી ભરપૂર ખોરાક લેવો પહેલા કરતાં વધુ જરૂરી બની જાય છે. વિટામિન Cથી ભરપૂર ફળો જેવા કે જામફળ, પપૈયું, સફરજન અને નાસપતી શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, જોકે હંમેશા તાજા ફળો જ ખાવા જોઈએ. કુદરતી એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર આદુ અને હળદર શરીરનો સોજો ઘટાડવામાં અને ઈન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે.
પાલક, મેથી અને અન્ય લીલા શાકભાજી સારી રીતે ધોઈને અને રાંધીને ખાવાથી ઈન્ફેક્શનનો ખતરો ઘટી જાય છે. મર્યાદિત માત્રામાં તાજું દહીં અથવા ઘરે બનાવેલો પ્રોબાયોટિક ખોરાક પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધુ સારી રીતે કામ કરે છે. બદામ, અખરોટ અને કોળાના બીજ જેવા ડ્રાય ફ્રૂટ્સ શરીરને હેલ્ધી ફેટ, પ્રોટીન અને જરૂરી મિનરલ્સ પૂરા પાડે છે. આ ઉપરાંત પૂરતી માત્રામાં ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં ઘણી મદદ મળે છે.
બહારના ખાવાથી અંતર રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે રસ્તા કિનારે મળતા કાપેલા ફળો, ચાટ કે લાંબા સમય સુધી ખુલ્લામાં રાખેલો ખોરાક ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. આ ઋતુમાં ઘરનો તાજો અને ગરમ ખોરાક સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. માત્ર સારો ખોરાક ખાવાથી જ ઈમ્યુનિટી મજબૂત નથી થતી, પરંતુ પૂરતી ઊંઘ, હળવી કસરત, યોગ અને તણાવ ઓછો રાખવો પણ એટલો જ જરૂરી છે. જો ખાનપાન અને દિનચર્યા બંને સંતુલિત રહે, તો શરીર હવામાનના ફેરફારનો વધુ સારી રીતે સામનો કરી શકે છે.
ચોમાસામાં આહાર અને દિનચર્યા રાખવી અનિવાર્ય
સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણે સાવચેતી રાખીશું તો સ્વસ્થ રહી શકીશું.