Loading Please Wait !!!
ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ!

 

  • સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને રહાણેએ પોતાના નિવૃત્તિના નિર્ણયની જાહેરાત કરી.

  • જીવન અને રમતગમતમાં દરેક શરૂઆતનો અંત આવે છે તેમ જણાવી બેટિંગના ટાઈમિંગ સાથે સરખામણી કરી.

  • વિદેશી ધરતી પર ભારત માટે સૌથી વધુ ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે પોતાની ઓળખ બનાવી હતી.

  • સિટી ન્યુઝ @ મુંબઈ

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત ભરોસાપાત્ર બેટ્સમેન અને પૂર્વ કપ્તાન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ માટે ૮૫ ટેસ્ટ, ૯૦ વનડે અને ૨૦ ટી-૨૦ મેચો રમી ચૂકેલા રહાણેએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવનાત્મક વીડિયો શેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. રહાણેએ જણાવ્યું હતું કે જીવનની સચ્ચાઈ એ છે કે દરેક વસ્તુની શરૂઆત અને અંત હોય છે અને બેટિંગની જેમ જ ક્રિકેટમાંથી વિદાય લેવાનો આ બિલકુલ યોગ્ય સમય છે. તેમણે દેશ માટે રમવાને સર્વોપરી ગણાવ્યું હતું અને સપોર્ટ કરવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

અજિંક્ય રહાણેની કારકિર્દીનો સૌથી સુવર્ણ અધ્યાય ૨૦૨૦-૨૧ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જોવા મળ્યો હતો, જ્યાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેમણે ટીમની શાનદાર કપ્તાનશીપ સંભાળી હતી. એડિલેડ ટેસ્ટમાં ૩૬ રન પર ઓલઆઉਟ થવાના આઘાતમાંથી ટીમને બહાર લાવીને તેમણે મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારી હતી અને ત્યારબાદ બ્રિસ્બેનના ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવીને ૩૨ વર્ષનો અજેય રેકોર્ડ તોડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ૧૨ સદી અને ૫,૦૭૭ રન બનાવનાર રહાણેએ વિદેશી ધરતી પર અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ હવે તેઓ આગળની પેઢીને માર્ગદર્શન આપવા અને રમતને કંઈક પરત આપવા માટે ઉત્સુક છે.
અજિંક્ય રહાણેની શાનદાર ક્રિકેટ સફર અને અદભુત યોગદાન ભારતીય ક્રિકેટ જગતમાં હંમેશા યાદગાર રહેશે.